- Log in to post comments
રાષ્ટ્ર સેવા માટે તત્પર તમામનું વિવેકાનંદ કેન્દ્રમાં સહર્ષ સ્વાગત છે
માતૃભૂમિની સેવા કરવાની મહેચ્છા રાખવી અને તે માટેનો અવસર પણ પ્રાપ્ત થવો એ કેટલાક પુરુષાર્થી લોકો માટે વિશિષ્ટ તક હોય છે. રાષ્ટ્ર સેવાનો આવો સુંદર અવસર વિવેકાનંદ કેન્દ્ર ઉપલબ્ધ કરાવી શકે છે. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી અેક અધ્યાત્મ પ્રેરિત સેવા સંગઠન છે જે ભારતમાં કુલ 820 કરતા પણ વધુ સ્થાનો પર કાર્યરત છે. જો આપ આપનો પૂર્ણ સમય આપી સમર્પિત સેવા દ્વારા સમાજસેવાનો અનોખો જ અનુભવ મેળવવાની ઈચ્છા ધરાવતા હો તો વિવેકાનંદ કેન્દ્ર આપને અમૂલ્ય અવસર પ્રદાન કરે છે. ઓછામાં ઓછા 2 વર્ષ માટે સેવાવ્રતી તરીકે સમર્પિત થઈને કામ કરવાનું છે. આ કામ માટે કોઈપણ પ્રકારનું વેતન આપવામાં આવતું નથી પરંતુ તમારી મહત્વની જીવન જરૂરિયાતો જેવી કે, ભોજન, નિવાસ વગેરેની વ્યવસ્થા વિવેકાનંદ કેન્દ્ર પૂરી પાડશે.
કેટલાક સામાન્ય પ્રશ્નો કે જે તમારા મનમાં ઉઠતા હશે, તેના ઉત્તર આ પ્રમાણે છે.
(1) મને સમાજસેવા કરવાની ઈચ્છા છે પરંતુ મને ખબર નથી કે કેવી રીતે કરું?
- તેના માટે વિવેકાનંદ કેન્દ્રમાં આપને પ્રશિક્ષણ આપવામાં આવશે.
(2) શું મહિલાઓ પણ પૂર્ણકાલીન બનીને કેન્દ્રમાં સુરક્ષિત રીતે કામ કરી શકે છે?
- હા, સંપૂર્ણ સુરક્ષા સાથે કેન્દ્રમાં મહિલાઓ પણ કામ કરી રહી છે. શરૂઆતથી જ કેન્દ્રમાં પુરૂષો અને મહિલાઓ બંને, કાર્યકર્તાઓ રૂપે માતૃભૂમિની સેવા કરી રહ્યા છે.
(3) માતૃભૂમિના કાર્ય માટે મને ક્યાં મોકલવામાં આવશે?
- આપની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપ દેશના કોઈપણ ખૂણે જવા માટે તૈયાર હો. તેમ છતાં આપ જે ભાષા જાણતા હશો તે ક્ષેત્રમાં જ મોકલવાનો પ્રયાસ રહેશે.
(4) મારી જરૂરિયાતો માટે મને કેટલા રૂપિયા મળશે?
- આ કોઈ સવેતનિક કાર્ય નથી. જ્યારે કોઈ સેવા માટે આવે છે તો તેમની જરૂરિયાતો પણ ખૂબ જ ઓછી હોવી જોઈએ. આ રીતે જોતા વિવેકાનંદ કેન્દ્ર આપના ભોજન, સાબુ, તેલ વગેરે જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડશે.
(5) બે વર્ષ કામ કર્યા બાદ મારી પાસે ક્યા વિકલ્પો હશે?
- આપ આપના ઘરે પરત જઈ પારિવારીક જીવનમાં જોડાઈ શકો છો અથવા વધુ કેટલાક વર્ષ પણ સેવા માટે વધારી શકો છો.
(6) બે વર્ષ બાદ જ્યારે હું પરત ફરું છું તો આટલા સમયગાળા બાદ મારા માટે નોકરી શોધવી કે મેળવવી અઘરી નહીં બને?
- વિવેકાનંદ કેન્દ્રનો એવો અનુભવ રહ્યો છે કે નોકરીદાતાઓ દેશ માટે સમર્પિત થઈને કામ કરનારાઓને નિઃસંકોચપણે પોતાને ત્યાં નોકરી પર રાખવા માટે તૈયાર હોય છે.
(7) શું આ બે વર્ષો દરમિયાન હું મારા ઘરે જઈ શકું?
- બે વર્ષમાં એકવાર તો ઘરે જઈ શકો છો અને ઘરના સભ્યો પણ મળવા માટે આવી શકે છે.
નીચે આપેલા ફોર્મમાં તમારી સંપૂર્ણ માહિતી ભરીને મોકલો . માહિતીની ચકાસણી બાદ વ્યક્તિગત મુલાકાત માટે અમે તમારો સંપર્ક કરીશું.